Home > Work > Vishwamanav

Vishwamanav QUOTES

1 " હું તમને મહાનતાનો એક રસ્તો બતાવું છું. તમે સપનાઓ જુઓ. મોટા સપનાઓ જુઓ. પછી બસ મુઠી વાળીને તે સપનાઓ પાછળ ભાગવાનું ચાલુ કરી દો. તમે નિષ્ફળ થશો. રડવા લાગશો. પડી જશો. કંટાળી જશો. આ હકીકત છે, અને હું તમને બીજી એક કડવી હકીકત કહું છું- તમે અંધકારમાં ફસાઈ ગયા છો, અને ઈચ્છો છો કે તમને કોઈ આંગળી પકડીને લઇ જાય? ના. કોઈને પડી નથી તમે કેટલા ગાંડા છો, ભાંગી ગયા છો, તમને દુઃખ છે. ના. કોઈને તમારા દુઃખને માટે પોતાની સારી-સારી ક્ષણોને બગાડવાનો શોખ નથી. એટલે હવે પડ્યા પછી તમારા પ્રોબ્લેમ સંભળાવવાનું બંધ કરો. એક પણ એક્સક્યુઝ નહી. અંધારામાં ઉભેલા માણસ હંમેશા મજબુરી ભરી વાતો કરે છે, અને બહાના બતાવ્યા કરે છે. હું કહું છું- છોડો એ વાતો. ઉભા થાવ. મેં જોયું છે- કુતરાઓને પણ જયારે ખરજવું થાય, મરવા પડ્યા હોય, તો પણ છેલ્લા શ્વાસ સુધી, બહાર લબડતી જીભ સુકાય જાય ત્યાં સુધી, આંખો બંધ થાય ત્યાં સુધી દોડતા રહે છે. તમને કેમ બહાના કાઢીને બેસી ગયા છો? હું છાતી ઠોકીને કહું છું દોસ્ત...જ્યારે લાઈફ તમને કિક મારે છે, તમે રડવા લાગો છો, અને તમે પડી જાવ છો ત્યારે દુનિયાનો કોઈ પણ માણસ રેફરી બનીને તમારા માટે પરિસ્થિતિને રેડ-કાર્ડ બતાવવા નહિ આવે. તમને સાંત્વના દેવા બીજા ખેલાડીઓ આવશે, પરંતુ તમારે જાતે જ આંસુ લુંછીને રમતમાં ઉભું થવું પડશે.
મહાનતા જેવું કઈ હોતું જ નથી, અને જો હોય તો લોહી વાળા હાથે આંસુ લુંછીને મેદાનમાં ઉભા થનારો મહાન બંને છે. ઉભા થઈને દુઃખાવો સહન કરીને દોડનારો મહાન બંને છે. દોડીને પોતાના લક્ષ્ય તરફ, ગોલ મારવા માટે પોતાના હાડકા ખરી જાય ત્યાં સુધીની હિંમત લઈને ભાગનારા મહાન બંને છે. પોતાના શરીરમાં થતા દુખાવાની ફરિયાદ કર્યા વિના ફરી-ફરીને ઉભા થનારા મહાન બંને છે. જો એ મહાનતાના ગોલ-પોસ્ટ સુધી પહોંચવું હોય તો વારંવાર દોડવું પડે છે. અને આ બધું છતાં ઘણીવાર તમે એ ગોલ મારી શકતા નથી. સફળતાની એક ક્ષણ માટે હજારો વાર નિષ્ફળ થવું પડે છે. નિષ્ફળ થઈને મેદાન બહાર ગયા પછી દિમાગની નસોને કસી-કસીને શીખવવું પડે છે. છાતીમાં નવો લાવા શોધવો પડે છે. ફરીવાર વધુ જુસ્સા-જનુન અને નવી સમજ સાથે મેદાનમાં ઉતરવું પડે છે. ફરીથી દોડવું પડે છે. એકપણ ફરિયાદ વિના. બધીજ બાહોશી સાથે. બધા દાવ-પેચ લગાવીને. જરૂર પડે તો રસ્તામાં આવનારને ધક્કો મારીને. છેવટે એ ગોલ-પોસ્ટ સુધી પહોંચવાનું જક્કીપણું જીતી જાય છે. અને એ ગોલ થઇ જાય છે. પછી જીવન નામના મેદાનમાં ટી-શર્ટ કાઢીને નાચવાનું મન થાય છે! રાડો નાખી-નાખીને પોતાની સફળતા દુનિયાને- પ્રેક્ષકોને કહેવાનું મન થાય છે. લોકો તમને ઉત્સાહ-પ્રેમ-જુસ્સો આપે છે. એ સમયે એક પણ આંસુ, દુઃખતું શરીર, તૂટેલા હાડકા ...કોઈ દુઃખાવો મહેસુસ થતો જ નથી. સ્થિર માણસ નહી, હંમેશા દોડનારો જીતી જાય છે. મહાન બંને છે.
હું ફરી કહું છું. એ એક ક્ષણ માટે હજારો વાર હારવું પડે છે. મંજુર છે? હજારો એવી જ નિષ્ફળતા ભોગવવી પડશે. હારવું પડશે. મંજુર છે? એક સમયે તમારી પીઠ પર હાથ મુકનારા, તમને સલામ કરનારા જરૂર દેખાશે. કોઈ નહી તો તમારું હૃદય જરૂર તમને ખુશ કરી દેશે. "

Jitesh Donga , Vishwamanav

2 " એ ઈશ્વર-ખુદા...તું ખોટું ન લગાડીશ...એક વાત કહું? તારી ઔકાત કે લાયકાત નથી આ ધરતી પરના માણસની જેમ જીવવાની અને જીરવવાની. ક્યારેય તું એક સામાન્ય માણસની તોલે નહિ આવી શકે. સામાન્ય માણસના પ્રેમ આગળ તારા બધા જ મંદિર- મસ્જીદ, તારા બધા જ ઉપદેશો અને ગ્રંથો, તારા જીવન અને તારી લીલાઓ, તારા દરેક સર્જન અને સંહાર...તું....તું ખુદ દોસ્ત....તું પણ એમના પ્રેમ આગળ નાનો છે. નાનો જ રહેશે. તારા જ બનાવેલા રામ-મુસ્કાન તારા દરેક અવતાર કરતા વધુ શ્રેષ્ઠ જીવી ગયા એ કબુલ કરીલે દોસ્ત.
કારણ? કારણ જોઈએ છે કે શા માટે તારાથી સારું જીવી ગયા? લે ને તારું જ જીવન જોઈ લે. તે જે અવતારમાં પ્રેમ કર્યો હોય એ મને કહે. હું તને સાબિત કરી દઈશ કે તું શ્રેષ્ઠ ન હતો. ચલ...રામ-સીતા અને રામ-મુસ્કાનને ત્રાજવે બેસાડીએ. બંને રામાયણને તોલી લઈએ.
પ્રભુ માની લો ને...શા માટે આવું બધું કર્યું તેમની સાથે? શા માટે તેમના નાનકડા દીકરાને આ બધું દેખાડ્યું તમે? કે પછી તમે પણ ભડકે બળતા હતા તેમની ખુશીઓ જોઇને? મેં કહ્યુંને રામાયણના રામ ક્યારેય કળીયુગના રામની તોલે નહી આવી શકે. કારણ કહું? કારણ કે દોસ્ત...તમે કદાચ તમારી સીતાને ધરતીમાં સમાતી જોઈ શકો...મારો કળીયુગનો રામ તેની મુસ્કાનને ન જોઈ શકે. એ સાથે સમાઈ ગયો. પ્રભુ...તમે તેને એકલીને અગ્નિ પરીક્ષામાં મોકલી શકો...મારો રામ તેની સાથે સળગે છે. પ્રભુ...તમે એને જંગલમાં ચૌદ-ચૌદ વરસ સુધી સાથે રખડાવી શકો, અને પાછા ફરીને અયોધ્યા લાવો ત્યારે એક ધોબીની વાત સાંભળીને ફસાઈ શકો...પણ મારો રામ તેની મુસ્કાન માટે સમાજને આજીવન છોડીને પણ સમાજ વચ્ચે રહી શકે છે! તેનું અયોધ્યા કે વનવાસ તો ત્યાં દુર સળગતા તેના મકાનમાં જ હતું. નાથ...તમે તમારી યાદ રૂપે હનુમાન સાથે નાનકડી વીંટી મોકલી શકો અને કહેડાવી શકો કે- સીતાજી, તમને રામ ખુબ યાદ કરે છે...જ્યારે મારા રામ તો ખુલ્લા પગે આ શહેરની ગલીઓ ખુંદી વળે જો તેની મુસ્કાન ન મળે તો. વળી તમે કહેશો કે સીતા તો દુર લંકામાં હતી જ્યારે મુસ્કાનતો શહેરમાં જ હતી. તો દોસ્ત...તમે પણ ભગવાન અને સર્વ-શક્તિમાન હતા.
પ્રભુ...તમે ધનુષ્ય ભાંગીને સ્વયંવર માંથી સીતાને જીતી આવો છો...ક્યારેક અહીં આવીને ગંધાતા સમાજને પૂછી તો જુઓ. સૌ તમારા જ જીવનના અને ગ્રંથોના ઉદાહરણ આપીને કહેશે કે- જુઓ કોઈ ભગવાને પણ બીજી જ્ઞાતિમાં લગ્ન કે પ્રેમ નથી કર્યો! તમે તમારી રામાયણમાં કહો છો કે તમે રાવણને માર્યો. સીતાને માટે તમે લંકા જઈને યુદ્ધ કર્યું...પણ સાચું કહું તો સીતાએ ખુદ જ રાવણને હરાવ્યો હતો. મુસ્કાનની જેમ જ. રાવણ તો સીતા સામે પહેલેથી જ હારી ગયો હતો. પ્રભુ...તમે હારેલાને હરાવ્યો તેમાં વળી શું પૂજાઓ છો?
દોસ્ત...તમે ભલે ભગવાન કહેવાશો, છતાં હમણાં જ જીવીને ગયેલા પેલા બંનેની તોલે તો ન જ આવો. તમે પથ્થરમાં પૂજાઈ શકો, તમે સોને મઢાઈ શકો, તમે મંદિરમાં જડાઈ શકો, તમે સોળ શણગાર ધરીને મુસ્કુરાઈ શકો...પણ તમે એક ચોકની વચ્ચે લાશ બનીને સળગી શકો? હા...તમે સીતા માટે લડતા-લડતા મૂર્છિત થઇ શકો, પણ મરી ન શકોને? તો પછી તમે ભગવાન કેમ કહેવાશો? કઈ રામાયણને મંજુર છે કે તેમાં રાવણ જીતી જાય? કઈ રામાયણમાં રામ-સીતાના મૃત્યુથી અંત થાય છે? પ્રભુ...સાચું કારણ કહું તમે કેમ રામ-મુસ્કાન કરતા શ્રેષ્ઠ નથી? કારણકે જો તમારી રામાયણમાં રામ-સીતાના મૃત્યુથી અંત આવે તો કહેવાશે કે રાવણ જીતી ગયો, શેતાન જીતી ગયો...પરંતુ અહીં રામ-મુસ્કાન સળગશે તો પણ યાદ રાખજો દોસ્ત: પ્રેમ જીતી ગયો. છેલ્લે સુધી પ્રેમ જ જીતી ગયો. એ બંનેને સળગાવવામાં આવ્યા કેમકે પાપી શેતાનને સમજાઈ ગયું કે એ બંનેના પ્રેમ પર છેલ્લા શ્વાસ સુધી જીત મેળવી શકાય તેમ નથી. આ કળીયુગનો રામ પોતાની સીતાને એકલી ધરતીમાં નહિ સમાવા દે. તેના જીવન પર રામાયણ ન સર્જાય તો કઈ નહિ, પરંતુ તેનું જીવન પૂજવા લાયક જરૂર હતું. છેવટે તો દોસ્ત...તમે જે હો તે...ઈશ્વર-અલ્લાહ-ગોડ...તમે થોડું તો હાર્યા જ છો. ખોટું નાં લગાડતા...પણ સાચું કહેજો: આ તમારા ગ્રંથ પૂજાવા જોઈએ કે પેલા સળગી રહેલા સામાન્ય માણસોના જીવન? ફરી પાછા મને એમ ન કહેતા કે- ફકીર રામાયણ નહિ, પરંતુ મહાભારત, બાઈબલ, કે કુરાન જુઓ.
તમે સૌ એક જ છો. નવા નવા પાત્રો બનીને જીવ્યા કરો છો. બસ...પેલા શેતાનો એ જાણતા નથી અને રામ અને અલ્લાહને અલગ બનાવી ખુદના રામ અને અલ્લાહને જ મારી બેસે છે.
ઈશ્વર-અલ્લાહ હોય કે શેતાન...સામાન્ય માણસના પ્રેમ સામે એ હારી જ જશે. "

Jitesh Donga , Vishwamanav

3 " મને એ ખબર નથી પડતી કે: કઈ રીતે એક સ્થળ...માત્ર એક જગ્યા...આટલી બધી પેઢીઓથી કેટલાયે માણસોના દુઃખ મિટાવી શકે? માત્ર ચીકણી માટીમાંથી બનાવેલી એક મૂર્તિ અને તેના પર થોડી શણગાર અને સજાવટ. માત્ર ઇંટોથી ચણેલી એક કબર અને તેના પર કાપડ ની ચાદર. બીજું કઈ નહિ. એક પથ્થરના ટુકડા સિવાય બીજું કઈ જ નહિ. જો ઈશ્વર પથ્થરના ટુકડામાં રહેતો હોય...તો પછી ભૂખ્યા મરી જતા લાચાર માણસોમાં નહિ રહેતો હોય? તમારી શ્રદ્ધાનું નામ દઈને તમે કહી દો છો કે- માણસને શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય. પથ્થરની પણ પૂજા થાય! હું કહું છું કે- જો લોકોને પથ્થરના ચણેલા મંદિરમાં ભગવાન દેખાતો હોય તો પછી તેને ઘર વગરના માણસમાં પણ દેખાવો જોઈએ. ભૂખ્યા મરી જતા ભીખારીમાં પણ દેખાવો જોઈએ. "

Jitesh Donga , Vishwamanav